દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY) હેઠળ આવકના દાખલાના આધારે બનાવાયેલા આયુષ્માન કાર્ડ ધારકો માટે મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી છે. જિલ્લા પંચાયતની આરોગ્ય અને પરિવાર કલ્યાણ શાખાએ જણાવ્યું છે કે જેમના આવકના દાખલાની મુદત તા. 31 માર્ચ 2026ના રોજ પૂર્ણ થવાની છે.
તેવા લાભાર્થીઓના આયુષ્માન કાર્ડ ટૂંક સમયમાં બંધ થઈ શકે છે. જેના કારણે ઇમરજન્સી અથવા આકસ્મિક બીમારી સમયે મફત સારવારનો લાભ મેળવવામાં મુશ્કેલી ઊભી થઈ શકે છે. તેથી તમામ લાભાર્થીઓને નવો આવકનો દાખલો મેળવી પોતાનું PMJAY કાર્ડ સમયસર અપડેટ અથવા રિન્યૂ કરાવવા અનુરોધ કરવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવકના દાખલાની મુદત પૂર્ણ થતાં આયુષ્માન કાર્ડ થઈ શકે છે બંધ
સરકારે હવે આયુષ્માન કાર્ડ રિન્યૂ કરવાની સુવિધા સીધી લાભાર્થી પોર્ટલ પર શરૂ કરી છે, જેથી હવે કોઈ ઓપરેટર આઈડીની જરૂર રહેશે નહીં અને લાભાર્થી પોતે જ ઓનલાઇન કાર્ડ રિન્યૂ કરી શકશે. લાભાર્થીઓ સત્તાવાર વેબસાઈટ https://beneficiary.nha.gov.in/ પર જઈને સરળતાથી કાર્ડ અપડેટ અથવા રિન્યૂ કરી શકે છે. ઉપરાંત NFSA રેશનકાર્ડ ધારકો, જી-કેટેગરી તેમજ 70 વર્ષથી વધુ વયના નાગરિકો પણ આ જ પોર્ટલ પરથી નવા આયુષ્માન કાર્ડ બનાવી શકશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીએ તમામ લાયક લાભાર્થીઓને અપીલ કરી છે કે કટોકટીના સમયની રાહ જોયા વગર સમયસર પોતાના આયુષ્માન કાર્ડ અપડેટ અથવા નવા બનાવી લે, જેથી સરકારની આરોગ્ય યોજના હેઠળ મળતી મફત સારવારનો લાભ અવિરત મળી રહે.